Gujarat: આ શહેરમાં 2 રાઉન્ડ ફાયરિંગ; સારવાર દરમિયાન એકનું મોત; ઘરે આવેલા 2 ઇસમો ફરાર
Ahmedabad news: ગુજરાતમાં ગુનાઓની ઘટનામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. થોડા દિવસ અગાઉ જ રાજકોટમાં ગળું કાપીને એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી. આ સિવાય પણ સુરક્ષિત ગણાતા રાજ્યમાં ગુનાહિત ઘટનાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. થોડા દિવસ અગાઉ જ અમદાવાદને સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ હવે આ સૌથી સુરક્ષિત શહેરમાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે.
અમદાવાદમાં મંગળવારે મોડી રાત્રે બોપલ વિસ્તારમાં કબીર એન્ક્લેવ પાસે 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. આ હત્યા છે કે કેમ એ અંગે કોકડું ગૂચાવાયું છે. મૃતકના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે, પરંતુ ઘટનાસ્થળ પરથી પોલીસને કોઈ હથિયાર મળ્યું નથી. આ હત્યા છે કે, આત્મહત્યા તે તપાસવામાં પોલીસની SOG અને LCBની ટીમ કામે લાગી ગઈ છે. મૃતકની ઓળખ કલ્પેશ ટુંડીયા તરીકે થઈ છે. આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારોમાં પણ ભારે ડરનો માહોલ સર્જાયો છે.
મળતી માહિતી મુજબ, મોડીરાત્રે 2 વ્યક્તિઓ કલ્પેશના ટુંડીયાના નિવાસસ્થાને આવ્યા હતા. આ દરમિયાન કલ્પેશની પત્ની અને પુત્રી ઘરની નીચે હતા. ફાયરિંગની ઘટના બાદ ઘરે આવેલા 2 અજાણ્યા ઇસમો કરીને ફરાર થઈ ગયા હતા. ગોળીનો અવાજ આવતા તેઓ દોડીને ઉપર ગયા તો ગોળી વાગવાને કારણે કલ્પેશ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈને પડ્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર અગાઉ જ તેનું મોત થઈ ગયું હતું.
જોકે, ત્યારબાદ તેના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેણે સમગ્ર ગુનાની દિશા બદલી નાખી છે. આ મામલે પોલીસે હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આ ઘટના આત્મહત્યાની છે કે પછી હત્યાની તેનો ભેદ ઉકેલવા માટે તપાસ હાથ ધરી રહી છે.
હાલ, બોપલ પોલીસ સ્ટેશનની LCB શાખા અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે સંયુક્ત તપાસ હાથ ધરી છે. વરિષ્ઠ અધિકારીઓેએ હોસ્પિટલ અને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને ફોરેન્સિક એક્સપર્ટ્સને ઘટનાસ્થળ પરથી પુરાવાઓનું વિશ્લેષણ કરવા માટે બોલાવવામાં આવ્યા છે. આ સિવાય પોલીસે ઘરે આવેલા 2 અજાણ્યા ઈસમોની ગતિવિધિ શોધવા અને આ મોત સાથે તેમનું કોઈ કનેક્શન છે કે કેમ તે વિશે તપાસ કરી રહી છે. આ સિવાય CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. હાલ, પોલીસે કલ્પેશની પત્ની અને દીકરીની પૂછપરછ હાથ ધરી છે. જોકે, તેમના નિવેદનમાં પણ વિવિધતા જોવા મળી રહી છે.
આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'મૃતકના ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ મળી આવી છે, પરંતુ, જે હથિયારથી તેનું મોત થયું છે, તે હથિયાર અત્યાર સુધી મળ્યું નથી. જેના કારણે કેસની ગુંચવણ વધી છે. હાલ, પોલીસ તપાસ કરી રહી છે કે, શું કલ્પેશે આત્મહત્યા કરી છે કે, કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ગોળી મારીને તેની હત્યા કરવામાં આવી છે? જોકે, આ ઘટનાને લઈને એવી પણ શક્યતા છે કે, કોઈ સંબંધી અથવા પરિચિત દ્વારા ગભરાહટમાં અથવા જાણીજોઈએન હથિયારને ઘટનાસ્થળે પરથી દૂર કરવામાં આવ્યું હોય. પોલીસ હાલ તમામ એંગલથી પર તપાસ કરી રહી છે.'
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp