વર્લ્ડ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાની નેશનલ ગેલેરીએ (National Gallery Australia) ગુરુવારે એક ડઝનથી વધુ સાંસ્કૃતિક મહત્વ ધરાવતી 14 કલાકૃતિઓ ભારતને પરત સોંપવાની ઘોષણા કરી છે. આ કલાકૃતિઓમાં કાંસા અને પથ્થરની મૂર્તિઓ, ચિત્રિત સ્ક્રોલ અને કેટલીક મહત્વની તસવીરો સામેલ છે.
આમાંની મોટાભાગની કલાકૃતિઓ ભારતમાંથી ચોરાઈ હતી અથવા ગેરકાયદે ખોદકામ કરીને કાઢવામાં આવી હતી અથવા ગેરકાયદેસર રીતે હસ્તગત કરવામાં આવી હતી. તેમાંથી 13 સીધા ગેલેરી દ્વારા કુખ્યાત ન્યૂયોર્ક કલા તસ્કર સુભાષ કપૂર પાસેથી ખરીદવામાં આવ્યા હતા. અન્ય એક કૃતિ દિવગંત વેપારી વિલિયમ વોલ્ફ પાસેથી ખરીદવામાં આવી હતી.
ભારતને સોંપવામાં આવનાર 14 કલાકૃતિઓમાંથી 13 કપૂર સાથે સંકળાયેલી છે, જ્યારે 12 મી સદીનું શિલ્પ દિવંગત આર્ટ ડીલર વિલિયમ વોલ્ફે પાસેથી ખરીદવામાં આવ્યું હતું. ‘ધ ચાઈલ્ડ સેન્ટ ઓફ સાબંદર’ શીર્ષક ધરાવતી આ મૂર્તિ તમિલનાડુમાંથી ચોરાઈ હતી. તપાસ દરમિયાન મૂર્તિ પર ભારતીય મંદિરની ઐતિહાસિક તસવીર મળ્યા બાદ તેને ભારત પરત કરવામાં આવી રહી છે.
મ્યુઝિયમના ડાયરેક્ટર નિક મિટ્જેવિચે કહ્યું કે, અમે અમારી સમક્ષ પુરાવાઓનું મૂલ્યાંકન કરવામાં ઘણા વર્ષો વિતાવ્યા છે. અમે તમામ કાનૂની અને હકીકતોના પુરાવા જોયા છે, અને સંભવતઃ આ કલાકૃતિઓ ચોરાઈ ગઈ હતી અથવા ગેરકાયદેસર રીતે નિકાસ કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે, ‘આ પરિવર્તનના પ્રથમ પરિણામ તરીકે, નેશનલ ગેલેરી ભારતીય કલા સંગ્રહમાંથી 14 વસ્તુઓ તેના મૂળ દેશમાં પરત કરી રહી છે. તે એક સાંસ્કૃતિક જવાબદારી છે અને ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે સહકારનું પરિણામ છે. અમે તેમના સહકાર માટે ભારત સરકારના આભારી છીએ અને ખુશ છીએ કે હવે અમે આ સાંસ્કૃતિક રીતે નોંધપાત્ર વસ્તુઓ પરત કરી શકીએ છીએ.’
ઓસ્ટ્રેલિયામાં નેશનલ ગેલેરી, ઓસ્ટ્રેલિયા દ્વારા કરવામાં આવેલી આવેલી ઘોષણાનું ઓસ્ટ્રેલિયામાં ભારતના હાઈ કમિશનર મનપ્રીત વોહરાએ સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું, ‘ભારત સરકાર સદ્ભાવના અને મિત્રતાના આ અસાધારણ કાર્ય માટે ઓસ્ટ્રેલિયાની આભારી છે. ભારત સરકાર અને લોકો આ કાર્યની પ્રશંસા કરે છે અને તેમનો આભાર વ્યક્ત કરે છે.’