એક ગામમાં રહસ્યમયી રીતે પુરુષો મૃત્યુ પામવા લાગ્યા! વર્ષો સુધી કોઈને ભનક ન પડી, પણ જ્યારે રહસ્ય ખુલ્યું તો લોકોના પસીના છૂટી ગયા! જાણો
ભૂતકાળમાં દુનિયામાં એવા ઘણી ઘટનાઓ બની ગઈ છે, જેના વિશે સાંભળીને આજે આપણા રૂંવાટા ઉભા થઈ જાય છે. તેમાંની જ એક ભયાનક ઘટના હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં બની હતી. ત્યાના એક સ્થાનિક ગામમાં અચાનક પુરુષો મૃત્યું પામવા લાગ્યા હતા. આ અસામાન્ય ઘટના પ્રશાસનના ધ્યાને આવતા પણ તે પણ ચોંકી ગયું હતું. અને ત્યારબાદ આ ઘટનાઓની તપાસ કરવામાં આવતા જે સત્ય બહાર આવ્યું, તેણે લોકોના પસીના છોડાવી દીધા હતા.
બુડાપેસ્ટથી લગભગ 130 કિમી દૂર નાગ્યારેવ નામનું એક ગામ હતું, જ્યાં ઈ.સ.૧૯૧૧ થી ૧૯૨૯ની વચ્ચે 50 થી વધુ પુરુષો રહસ્યમય રીતે મૃત્યુ પામ્યા હતા. જ્યારે આ મૃત્યુ પાછળનું સત્ય બહાર આવ્યું ત્યારે આસપાસના વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. કેમકે, તપાસમાં ખુલાસો થયો હતો કે, પુરુષોની આ હત્યાઓના ગુનેગારો બીજું કોઈ નહીં પણ તેમની પોતાની જ પત્નીઓ હતી. આ ઘટનાનું સત્ય સામે આવતા જ દુનિયા ચોંકી ગઈ હતી.
વાત જાણે એમ હતી કે, આ ગ્રામીણ અને ઉજ્જડ વિસ્તારમાં સામાજિક અને કૌટુંબિક માળખું અત્યંત રૂઢિચુસ્ત હતું. અહીં નાની ઉંમરની છોકરીઓના લગ્ન મોટી ઉંમરના પુરુષો સાથે કરવામાં આવતા હતા. આ લગ્નોમાં સ્ત્રીઓને ઘણીવાર શારીરિક અને માનસિક ત્રાસનો સામનો કરવો પડતો હતો. અહીં પુરુષો દ્વારા મારપીટ, બળાત્કાર અને છેતરપિંડી જેવી ઘટનાઓ સામાન્ય થઈ ગઈ હતી. અને આવા સંજોગોમાં, સ્ત્રીઓ પોતાનું દુઃખ વ્યક્ત કરવા માટે ગામની એક દાયણ, જોઝસાના ફાજકાસ નામની મહિલા પાસે જતી હતી. ફાજકાસ માત્ર દાયણ જ નહોતી, પરંતુ તેણી તે સમયના સમાજમાં અસ્વીકાર્ય એવા ગર્ભપાતના પ્રતિબંધિત કામોમાં પણ માહેર હતી.
ત્યારે બધી પીડિત સ્ત્રીઓનું દુઃખ સાંભળીને ફાજકાસે આ સ્ત્રીઓને એક ખતરનાક રસ્તો બતાવ્યો હતો. તેણીએ તેમને સલાહ આપી હતી કે, તેઓ તેમના પતિઓથી છુટકારો મેળવવા માટે આર્સેનિક યુક્ત ઝેરનો ઉપયોગ કરે. આ ઝેર તે સમયે સરળતાથી ઉપલબ્ધ હતું. અને તેને ખોરાક કે પીણામાં ભેળવવું પણ ખૂબ સરળ હતું. ત્યારે આ પુરુષો દ્વારા અપાતી નિર્દયી પીડામાંથી છુટકારો મેળવવા માટે ગામની ઘણી સ્ત્રીઓએ આ સલાહ અપનાવી અને તેમના પતિઓને ઝેર આપીને મારી નાખવાનું શરૂ કર્યું હતું. આ પ્રક્રિયા એટલી ગુપ્ત રીતે ચાલતી હતી કે, ઘણા વર્ષો સુધી કોઈને પણ આ વાતની ભનક પડી નહીં. અને આમ, આ હત્યાઓને કુદરતી મૃત્યુ અથવા બીમારીનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
પરંતુ આખરે, વર્ષ 1929માં આ રહસ્યમય મોતની પાછળનો પડદો ઊંચકાઈ ગયો જ્યારે તેની તપાસ શરૂ થઈ હતી. જેમાં લગભગ 50 જેટલી મહિલાઓ પર તેમના પતિઓ અને કેટલાક કિસ્સાઓમાં અન્ય પુરુષ સંબંધીઓની હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અને ટ્રાયલ દરમિયાન બહાર આવેલા નિવેદનોએ સમાજનું કડવું સત્ય ઉજાગર કર્યું હતું. તે મહિલાઓએ જણાવ્યું કે, તેઓ તેમના પતિઓના દુર્વ્યવહાર, હિંસા અને જાતીય શોષણથી કંટાળી ગઈ હતી. તેથી આ પગલાઓ ભર્યા હતા. તે દરેક મહિલાઓને દોશી જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત, દાયણ ફાજકાસને તો આ સામૂહિક હત્યાની મુખ્ય કાવતરાખોર માનવામાં આવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp